ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં ભાજપમાં આંતરિક અસંતોષ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટિકિટ ફાળવણીને લઈને સિંધી સમાજમાં ભારે નારાજગી ફાટી નીકળી છે, જે હવે ખુલ્લા વિરોધમાં પરિવર્તિત થઈ ગઈ છે.
માહિતી મુજબ, સિંધી સમાજના એક દાવેદાર ઉમેદવારને પરંપરાગત રીતે મજબૂત ગણાતા વોર્ડ નંબર 1ના બદલે વોર્ડ નંબર 8માંથી ટિકિટ ફાળવવામાં આવી છે. આ નિર્ણયથી સમાજમાં અસંતોષ ફેલાયો છે. સમાજના આગેવાનો આને “અન્યાય અને અવગણના” ગણાવી રહ્યા છે, કારણ કે વોર્ડ નંબર 1માં સિંધી સમાજનો પ્રભાવ નોંધપાત્ર છે અને વર્ષોથી તેઓ આ વોર્ડમાં મજબૂત હાજરી ધરાવે છે.